ભગવાનના શ્રીમુખે સંસારના સર્વ સંશયો વિરમી જાય
એવી અલૌકિક દિવ્યવાણીની,સંસારને ભેટ ધરી ઋષિવર
શ્રીવેદવ્યાસજીએ.
ગુજરાતી સાહિત્યમાં કવન રુપે ‘ગીતા સુધા’ પ્રસાદી સૌ પામે ,માટે
ચીંતન, મનન અને અનેક મેઘાવી મહાનુભાવોના દર્શન ઝીલતાં
ઝીલતાં,ગીતા જયન્તી એ ,મા ગુર્જરીના ચરણોમાં પુષ્પ સમર્પિત
કરતાં અહોભાવથી વંદન.
ગીતા સુધા
અઢાર અક્ષૌહિણી સેનાના રક્તથી ભીંજાશે અવની અંગ
કેવો આ મહાસંગ્રામ પિતામહ ગુરુ સ્વજનોને સંગ
હે કેશવ! ન જોઈએ આ રાજ લઈ મહા હત્યાનું પાપ
ગાંડીવ સરે મમ કરથી નથી હૈયે યુધ્ધની હામ
ક્ષાત્ર ધનુર્ધર પાર્થ વદે વિષાદથી વિહ્વળ વાણી
યુધ્ધ અવસરે કાયર થઈ પૂછે , ઓ ચક્રપાણી!
રક્ત રંજિત યુધ્ધ ખેલી શાને કરવો મહા સંહાર
પાપ મોહ અહંકારથી કેમ મણવો વિજયશ્રીનો ઉપહાર
ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે છે દિન માગસર સુદ એકાદશી
શ્રીકૃષ્ણ મુખે વહી દિવ્ય જ્ઞાન ગીતા અવિનાશિની
પ્રબોધ્યું દર્શન પાર્થને અઢાર અધ્યાયે સાતસો શ્લોકમાં
છેદ્યાં સંશય , ઉઘડ્યાં દ્વાર ભક્તિ કર્મ બ્રહ્મ યોગનાં
ધર્મ સંકટ નિહાળું હું , ન સમજાય વિધિની વક્રતા
મનમાં સંશય રમે આ જીવનની કેવી વિંટબણા
સમજ મારી દીઠી કુંઠિત, ભાવિના ભણકારા કરતા રુદન
સુખ દુઃખ જય પરાજયના પડઘા ભાસે ગુંજાવતા ગગન
શ્રી કૃષ્ણ વદે, સુણ અર્જુન સખા, ગીતા છે મમ હૃદય
સોંપી લગામ પ્રભુને હાથ આવી જા તું મમ શરણ
આત્માને અમર જાણ દેહની નશ્વરતાને પહેચાન
થાતું મુક્ત મોહ માયાથી લઈ ગીતાનું જ્ઞાન
સુણ પાર્થ, જીવન મરણને જાણ પૂર્ણ પુરુષોત્તમ હાથ
થા માત્ર નિમિત્ત, કરવાં સઘળાં કલ્યાણી ઈશ્વરીય કામ
અર્પણ કર કર્તાને સર્વ કર્મનાં બંધન, કર્તવ્ય ધર્મ નિભાવ
ત્યજી આસક્તિ, યોગ સ્થિત થઈ લે ગાંડીવ તુ જ હાથ
આતતાયીઓ છે દમનકારી,શિક્ષામાં વિલંબ ન કર પળવાર
જીવન મરણ કલ્યાણ અકલ્યાણનો નથી તુ જ અધિકાર
થઈ નિર્વિકારી , થા અનાસક્ત , આજ તું સ્વધર્મ સંભાળ
નથી પવિત્ર જ્ઞાન સમ આ સંસારે , નિશ્ચયે તું જાણ
થયો મૂઢ પાર્થ, પરિસ્થિતિથી પ્રભાવિત,દીઠો કર્તવ્ય વિમુખ
પરમ લીલાને પ્રગટ કરતાં, શ્રી કૃષ્ણે ધરિયું વિશ્વ સ્વરુપ
તું છે મારો ભક્ત સખા ને , જ્ઞાન વીર ધીર ભૂપ
હું જ કાળ, હું જ નિયંતા, નીરખ પાર્થ મમ મહાકાળનું રુપ
અનંત ઐશ્વર્ય મહાકાળ રુપ જોઈ વિશુધ્ધ થયો અર્જુન
હાથ જોડી નત મસ્તકે અરજ ગુજારે ક્ષમા કરો ભગવંત
છે પારસમણિ જ્ઞાન ગીતાનું , પામ્યો પ્રેરણા પાન
દુવૃત્તિ સામે ઝુકાવવું જંગે , એ જ સમજાઈ જીવનની શાન
જાણ નિશ્ચયે, કહે કેશવ,મારું વચન સાંભળ ઓ પાર્થ
રક્ષીશ સાધુ સંત ભક્તોને છોડી વહાલું વૈકુંઠ ધામ
આ પૃથ્વીપટે અવતરીશ યુગેયુગે, ધર્મ રક્ષવા કાજ
સમય આવિયો,ધર્મ પક્ષે,કર હવે શંખ દેવદત્તનો નાદ
યોગેશ્વર છે સારથિ કુંતેય,લઇ ગાંડીવ નાખ સિંહની ત્રાડ
હૈયે પૂરી પહાડશી હામ , પ્રભુએ પૂર્યા પાર્થમાં પ્રાણ
લઈ ગાંડીવને હાથ , ઉભો થયો માત કુંતાનો ભાણ
સાધુના કરવા છે પરિત્રાણ, વરસાવ જગ કલ્યાણે બાણ
કર ગાંડીવ સર સંધાણ ,ધનુર્ધર યુધ્ધ એ જ કલ્યાણ
જુ એ રથી મહારથી વાટ , યુધ્ધે કર આજ પાર્થ પ્રયાણ
અર્જુન ગજાવ અંબર આણ,મહાભારત માણે શૌર્ય પ્રમાણ
કંડાર પાર્થ વિજયનો પાથ, તારા સારથિ શ્રીજય જગન્નાથ
જય સંગ્રામે દિસજે પહાણ, ધનુર્ધર યુધ્ધ એ જ કલ્યાણ
ધર ધનુષ્ય કર ટંકાર, ક્ષાત્ર ધર્મ કરે પુકાર
લઈ ગાંડીવ કર હુંકાર, છે આણ કુંતેય કુમાર
ધા ધરમની વહાર, બિરાજે ધ્વજે કપિકુમાર
ધન્ય ધન્ય શૂરવીરો, દુઆ દે વસુધા અપાર
તૂટ્યા મોહ કર્મનાં બંધન , ગદ ગ દ્ થઈ પાર્થ ઉવાચ
કર્તવ્ય ધર્મ નિભાવવા દેજો , દૈવી શક્તિ મમ હાથ
ગહન જ્ઞાન લાધ્યું,આત્મા પરમાત્માનો જાણ્યો ભેદ જ્ઞાનેથી
જીવાત્મા છે અક્ષર પણ અભિભૂત મોહ માયા બંધનથી
સત્ ચિત્ત આનંદથી સર્વ જીવ દિસે એકરુપ ને વ્યક્ત
અક્ષરથી ઉત્તમ પૂર્ણ પુરુષોત્તમ નિર્બંધ અખંડ અનંત અવ્યક્ત
જીવન દર્શન જાગ્યું તવ પ્રતાપે ,મોહ નષ્ટ થયો મમ અંતર
શિર જાશે પણ નહીં જાય શાન,મહાભારત ખેલવું મારે યોગેશ્વર
થા અર્જુન તું મહા યુધ્ધનો નાયક , હું છું એનો વિધાતા
તુજ રથ ધ્વજાએ બિરાજે હનુમંત ,થા અગ્રેસર અર્જુન ભ્રાતા
ગુરુ ઢ્રોણનો તું ધનુર્ધર શિષ્ય,વિનયથી લે ભીષ્મપિતાના આશીર્વાદ
હણી અન્યાય અધર્મ ધારકો , ધરણીએ ગજાવ સત ધર્મનો નાદ
આર્પણ તુજને તારી છાયા , પૂરજો હૈયે હામ
શંખનાદથી ગાજ્યું કુરુક્ષેત્ર , ધર્મ ધજા લઈ હાથ
તુજ શરણમાં ચરણે ધરવા , સર્વ કર્મનો ભાર
કર્તવ્ય ધર્મ બજાવવા પાર્થે જોડ્યા પ્રભુને હાથ
તામ્રવર્ણ દિશે અર્જુન , રક્તની છાયી લાલીમા નયન
ક્ષાત્રભૂજા સળવળી થઈ સર્પ , કીધો ધનુષ્ય ટંકાર ગગન
વ્યોમે ગાજ્યા દુંદુભી નાદ, નક્કી હવે ઊતરશે અવની ભાર
શંખનાદે ગુંજ્યા આકાશ, જગદીશ્વરનું મુખ મલક્યું અપાર
સમર્પી આજ જીવન તવ ચરણે , હવે ખેલવો મહા સંગ્રામ
તું છે કર્તા તુંજ ભર્તા , તુજ વિશ્વાસે કરવું મહા નિર્માણ
પાર્થે કીધું સર સંધાણ , જગદીશ્વર ભાખે યુગ કલ્યાણ
‘આકાશદીપ’અરજ ગુજારે ગાજો સાંભળજો ગીતાનો આ મહાતોલ
હૃદયે ઝીલજો યોગેશ્વરના બોલ , પામશો જીવન સુધા અણમોલ
રમેશ પટેલ(આકાશદીપ)
Filed under: રમેશ પટેલ(આકાશદીપ) | Tagged: આધ્યાતમિક, ગીતા સુધા, ગુજરાત, ગુજરાતીકવિતા, ભરત સુચક, મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, રમેશ પટેલ(આકાશદીપ), Bharat Suchak, gujarati website, gujaratigazal vishwa, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | Leave a comment »