ચો-તરફ તડકો બની ફેલાય છે,
એક ટહુકો છે, બધે સંભળાય છે.
આમ તો, આકાર કે ચહેરો નથી,
તોય ઝાંઝાં નામથી પંકાય છે.
વાયરો વાસંતી, ચાલો, માણીએ,
જામથી જાણે નશો છલકાય છે.
વાદળાં વરસે છે મુશળધારથી,
એક સરખાં ક્યાં કોઇ ભીંજાય છે.
બુંદની હસ્તીને અવલોકી જુઓ,
સામટા સો-સો પ્રલય વમળાય છે.
સાત સાગરથી તરસ બૂઝશે નહીં,
નીર ખારાં ક્યાં કદી પીવાય છે?
રાત આખી આભને જોતાં રહો,
તારલાથી ક્યાં નજર અંજાય છે?
આંગણું છોડીને બા’રે તો નીકળ,
ચોકમાં ‘અંજુમ’ કશું વેચાય છે.
– અંજુમ ઉઝયાનવી
Filed under: અંજુમ ઉઝયાનવી, ગઝલ, ગીત, ગુજરાતી ગઝલ | Tagged: અંજુમ ઉઝયાનવી, ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ચો-તરફ તડકો બની ફેલાય છે, ghazal, gujarati gazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | Leave a comment »