અહીંયા જ મારા પ્રણયની કબર છે

અહીંયા જ મારા પ્રણયની કબર છે
ખરું કહો તમે, આ તમારું જ ઘર છે?

તમે બેકદર થઈ ગયાં તો હું સમજ્યો
એ મારા સમા માટે સાચી કદર છે

હ્રદય મારું માટીનું કૂંડું થયું છે
ફૂલો જેમ એમાં કોઈની નજર છે

સુરાલય પછીથી હું શું કામ શોધું?
તમે પીધો એની મને પણ અસર છે

મને મારું મન એમ આગળ કરે છે
કે મંઝિલની જાણે કે મુજને ખબર છે!

હવે કોંને પોતાના ગણવા કહી દો
અમારી જ સામે અમારું ભીતર છે

મને રોક્યો મંઝિલના દ્વારે જઈ મેં
કે મનમાં રહે : સ્હેજ બાકી સફર છે.

-મનહર મોદી