શબ્દને અર્થની ખબર ક્યાં છે ?-આબિદ ભટ્ટ

શબ્દને અર્થની ખબર ક્યાં છે ?
લાશને શું ખબર,કબર ક્યાં છે ?

ધન નહિં, માત્ર તેજ કર ભેગું ,
દીવડો આપણો ક્યાં અમર છે ?

પ્હાણ જોતાં જ ,જાય તૂટી પણ ,
કાશ એવી હવે નજર ક્યાં છે ?

જ્યાં તને શોધવા ગમે કાયમ,
આજ એવું નગર ક્યાં છે ?

જોઈલો સૌ નિમગ્ન છે ખુદમાં ,
અન્યની કોઈને કયાં ફિકર છે ?

લાગણી શૂન્ય છે હૃદય સઘળાં ,
શબ્દની એટલી અસર ક્યાં છે ?

રણ મળે ત્યાં ઝરણ કરી દઈએ,

રણ મળે ત્યાં ઝરણ કરી દઈએ,
એમ ઊજળું મરણ કરી દઈએ !

હોય ત્રીજું ના આપણી વચ્ચે,
રોજ એવું સ્મરણ કરી દઈએ.

જાણવું શક્ય છે તમસને પણ,
રાતભર જાગરણ કરી દઈએ.

દશ્યમાં આવને બતાવી દે,
તે મુજબ અનુકરણ કરી દઈએ.

બંધ હો મન પ્રદેશની સરહદ,
ના, અમે અતિક્રમણ કરી દઈએ.

જિંદગી ગોઠવાય ના સમુચિત,
તો રમણ ને ભમણ કરી દઈએ !

યાદનું વૃક્ષ ફાલતું અંદર,
છમ્મલીલું પરણ કરી દઈએ.

સાદ કર આપણા, પરાયાને,
બાદ વર્ગીકરણ કરી દઈએ !

– આબિદ ભટ્ટ

આવ લઈ, જે વાતને સમજી શકે,

આવ લઈ, જે વાતને સમજી શકે,
દર્દ, એની જાતને સમજી શકે.

ચાંચ એમાં સૂર્યની ડૂબે નહીં,
લાવ કે જે રાતને સમજી શકે.

કંટકો સાથે રહ્યા જે ડાળની,
પાનખરની ઘાતને સમજી શકે.

શ્વાસ લેતા પત્થરો છે સૌ અહીં,
એ વળી જઝબાતને સમજી શકે ?

તારલાનો તું હશે આશિક ભલે,
બોલ, ઉલ્કાપાતને સમજી શકે ?

હોય શ્રદ્ધાનાં સુમન જેની કને,
એ જ મારા તાતને સમજી શકે.

– આબિદ ભટ્ટ