વિધાતાથી ઘણી રકઝક કરી, એક જ રટણ માગ્યું,- ભીખુભાઈ ચાવડા ‘નાદાન’

વિધાતાથી ઘણી રકઝક કરી, એક જ રટણ માગ્યું,
તમારો પ્રેમ માગ્યો, રાત માગી, જાગરણ માગ્યું…

યુવાનીની ખરી કિંમત સમજવા બાળપણ માગ્યું,
યુવાનીની જ છાયામાં જીવન માગ્યું, મરણ માગ્યું…

બધાં છલબલ થકી નિર્લેપ રહેવા ભોળપણ માગ્યું,
વિના સંકોચ જે દેખાય તે અંત:કરણ માગ્યું…

પ્રણયની વાતમાં બુદ્ધિ ઉપર દિલનું ચલણ માગ્યું,
અને દિલબરનું મુજ પ્રત્યે ગમે તેવું વલણ માગ્યું…

જગત આ હો, અગર જન્નત, અગર દોઝખ, ગમે તે હો,
ખુદા પાસે અમે મહેફિલ તણું વાતાવરણ માગ્યું…

પછી સોડહમ તણા ગેબી મને પડઘાઓ સંભળાયા,
પરમ-આત્મા થકી આત્માનું જ્યાં એકીકરણ માગ્યું…

અમે ‘નાદાન’ રહીને વાત કહેવા માણસાઈની,
ગણો તો શાણપણ માગ્યું, ગણો તો ગાંડપણ માગ્યું…