Posted on ડિસેમ્બર 3, 2011 by BHARAT SUCHAK
કદી તલવારની ધમકી ! કદી કર માંહી ખંજર છે;
ગઝલમાં જીવ આશકનો ડગે ડગ દિલમહીં ડર છે !
ઘડીમાં જીવ જોખમમાં ઘડીમાં જિંદગી ભયમાં;
પડ્યું પરહાથ દિલ આ આજ આંખો શૂળી ઉપર છે !
ન છૂટે ધ્યાન પ્રતિમાનું, ખુદાની યાદ ના આવે;
પડ્યા પથ્થર સમજમાં શું, કહે લોકો કે કાફર છે !
જિગરનો દાગ જૂનો છે, નિરાશાનો નમૂનો છે;
સહુ સંસાર સૂનો છે, ઉજ્જડ આશક તણું ઘર છે !
તમો ધનવાન છો તો મુજ સમા લાખો ભિખારી છે;
કમાઈ રૂપનીમાં આશકોનો લાગ ને કર છે !
હ્રદય ચાહે સદા જેને દયા આવે નહીં તેને;
બળ્યું એ જીવવું એના થકી મરવું જ બહેતર છે !
નહીં ભૂલું અમૂલું મુખ કદી ડૂલું થયું તો શું?
કપાઈ સર સરાસર બોલશે, બસ ! તું જ સરવર છે !
ઊઠ્યો ચમકી હું રાતે વસ્લની જીહિદ તણી બાંગો;
અહીં તકબીરના શબ્દો સદા અલ્લાહ અકબર છે.
ન કર અમૃત ! શિકાયત કે, એ બૂત છે પથ્થરો છે બસ;
હ્રદય તુજ મીણનું રાખ્યાથી તારો હાલ અબતર છે !
અમૃત કેશવ નાયક
Filed under: અમૃત કેશવ નાયક, ગઝલ, ગુજરાતી ગઝલ | Tagged: અમૃત કેશવ નાયક, કદી તલવારની ધમકી ! કદી કર માંહી ખંજર છે;, ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ghazal, gujarati gazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | 1 Comment »
Posted on ડિસેમ્બર 3, 2011 by BHARAT SUCHAK
દૂર દિલથી સહું સંસાર કરું કે ન કરું ?
હ્રદયમાં આપનું આગાર કરું કે ન કરું ?
તમે કરશો કે જફા મારી વફાને બદલે ?
કહોને, અય સનમ ! હું પ્યાર કરું કે ના કરું ?
સામો આવું છું તો પરદામાં મુખ છુપાવો છો,
દાર પર થાય, તો દિદાર કરું કે ન કરું ?
નાક તકફૂલ કમલ મુખ ને આંખ નરગિસની
બધું લઈને ગળે હાર કરું કે ન કરું ?
હાથ તલવાર ધરી, શીશ આશકે નામ્યું :
પછી વિચાર વળી, વાર કરું કે ન કરું ?
કઓલ પહેલાં મને માગ્યા વિના આપી બેઠાં :
હવે ખિયાલ એ, દરકાર કરું કે ન કરું ?
બૂતો બેકદ્ર છે : લાખોને કર્યા છે પા’માલ;
દિલ હું આપીને ઈતબાર કરું કે ન કરું ?
મારું દિલ છીનવી, ના કહે છે આપવા પાછું;
તોછડું લાગશે, તકરાર કરું કે ન કરું ?
બહુ તરસાવી બગલગીર થયો છે ઐયાર :
બોસા લાખો લઈ બેઝાર કરું કે ન કરું ?
કોટિ સર દાર પર જેણે ચઢાવ્યાં છે અમૃત !
બેરહમ તેને હું સરદાર કરું કે ન કરું ?
અમૃત કેશવ નાયક
Filed under: અમૃત કેશવ નાયક, ગઝલ, ગુજરાતી ગઝલ | Tagged: અમૃત કેશવ નાયક, ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, દૂર દિલથી સહું સંસાર કરું કે ન કરું ?, ghazal, gujarati gazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | 1 Comment »
Posted on ડિસેમ્બર 3, 2011 by BHARAT SUCHAK
આંખોથી વહે છે ધારા, તોયે જિગર બળે છે;
ચોમાસે ભરપૂરે, આકાશનું ઘર બળે છે !
તેજસ્વી ઘર જોશે શું કોઈ તે સનમનું ?
જેની ગલીમાં ઊડતાં પંખીનાં પર બળે છે !
ફુર્કતની આગ દાબું, તો ભસ્મ થાય હૈયું;
ફિર્યાદ કરું છું તો જિહ્વા અધર બળે છે !
મૃત છું હું તોય જીવું, માશૂક અમૃત પાયે;
વર્ના તમાશો જોશે કે કેમ નર બળે છે !
અમૃત કેશવ નાયક
Filed under: અમૃત કેશવ નાયક, ગઝલ, ગુજરાતી ગઝલ | Tagged: અમૃત કેશવ નાયક, આંખોથી વહે છે ધારા, ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, તોયે જિગર બળે છે;, ghazal, gujarati gazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | 1 Comment »