દિનચર્યા

આ વર્ષ શરૂ થતાં માનવતા ના પાયાના ગુણોને અનુસરવાનો નિશ્ચય કરીએ.

દરરોજ ભૂલો કર્યાં પછી માફી માગ્યા પછી પણ, વર્ષો જુનો(અમુક લોકોને નાનપણથી) રાગ-દ્વેષ  નથી છુટયો, તેવા અવગુણને આ વર્ષે મક્કમતા પૂર્વક અને ખરા હ્રદયથી ક્ષમા માંગી ને, રાગ-દ્વેષ મુક્ત થાવું છું.

હું ગુણો થી વડીલ થઈશ, ઉમ્મર થી નહિ.

આપણાં દોષો છુપાવવા, બીજાના દોષોની નીંદા નહી કરીને મિથ્યાત્વના પાપ થી દૂર રહીશ.

લોકોને આપેલી મદદને વધુ પડતી નહી બતાવતા, સ્વમાનભેર લોકોને જીવવા દઈશ.

જે ઉમ્મર અને ગુણમાં નાના છે, તે સર્વેને ખરા હ્રદયથી ક્ષમા આપીશ.

જે ઉમ્મર અને ગુણમાં મોટા છે, તે સર્વેનો આદર સન્માન કરી ખરા હ્રદયથી ક્ષમા માંગુ છું.

પાછળથી બોલીએ એ નીંદા છે, એકલામાં મોઢે કહેવું એ જ્ઞાન આપ્યા બરોબર છે.

લોકોના હક્કો છીનવી લેવા એ સંપત્તિ વાસના છે, આવી વાસનાથી દૂર થઈશ.

સંપત્તિ હોવા છતાં, બીજાનું પુરતું મહેનતાણું ન આપી અપાર વાસના થી દૂર થઈશ.

ઘરમાં તથા કામના સ્થળે લોકો વચ્ચે સંપની ભાવના જગાડીશ અને કૂટનીતી ને તિલાંજલી આપીશ.

માફી માગતી વખતે, કમ્મરેથી નમવાને બદલે હ્રદયથી નમીશ.

મા-બાપ/સાસુ-સસરાની હું સેવા કરીશ (જાત ઘસીને), હું વાતો કરીને દેખાડો નહી કરૂં.

મા-બાપ/સાસુ-સસરા પ્રેમના ભૂખ્યા છે, પૈસાથી તો સારામાં સારા નોકર મળી રહે છે.

આવા ઉત્તમ ગુણોના પાલન દ્વારા, હું એક સુદ્રઢ અને સાત્વીક સમાજ રચવાનો પ્રયત્ન કરીશ,

આમ કરવાથી સકળ વિશ્વનું કલ્યાણ થાશે.

સુવિચાર

* બીજાના જે દોષોને આપણે વખોડતા હોઈએ, તે જ દોષમાં આપણે પોતે ન પડીએ, તે માટે સજાગ રહીએ તો સારું !

* મિત્રતા બાંધતા પહેલાં, સર્વપ્રથમ આપણે સ્નેહની એક વ્યાખ્યા સ્થાપિત કરીએ કે જેથી કરીને તેનો સ્વભાવ અને શક્તિ આપણને સમજાય.

* વિવેક માનવીને શુદ્ધ વિચારો દ્વારા સદગુણ તરફ દોરે છે અને પોતાનો અધિકાર સ્થાપિત કરીને એ માનવીને મિત્રાચારી બનાવે છે.

* દષ્ટિ એ આપણી કાયાની ખૂબ જ તીવ્ર ઈન્દ્રિય હોવા છતાં, તે ડહાપણને ઓળખી શકતી નથી.

* વાગશક્તિ કોઈ પણ માણસને સત્ય જ્ઞાન વગર બોલવાની ફરજ પાડતી નથી પણ વાગદેવી કહે છે કે : મારી પાસે આવતાં પહેલાં સત્યની પ્રાપ્તિ કરો અને પછી મારી આરાધના કરો.

* સદગુણ શીખવી શકાતો નથી. એને એકત્રિત કરી શકાય. એકત્રિત કરવું એટલે પોતાની સઘળી શક્તિ એકઠી કરવી, આત્મનિમગ્ન થવું.

*માનવીએ પંખીની માફક ઉડતા શીખી લીધું છે, અને માછલી માફક તરતાં પણ.! હવે તેને જે શીખવાનું છે તે માનવી માફક જીવતાં.!

*આળસુ માણસને જો સૌથી ઝડપથી કંઇ સાંપડતું હોય તો તે છે થાક…

*જીવન તો દર્પણ જેવું છે. આપણે ઘૂરકીએ તો તે સામું ઘૂરકે છે, આપણે સ્મિત કરીએ તો અભિવાદનનો સામો પડઘો પાડે છે.

*આ દુનિયા બે ભાગમાં વહેંચાયેલી છે. એક… જેઓ મહેનત કરે છે….અને બે….જેઓ યશ કમાય છે..!

* તમારા માટે તેઓ ખરાબ બોલે છે એમ જ્યારે પ્લેટોને કહેવામાં આવ્યું ત્યારે પ્લેટોએ પોતાના મિત્રને કહ્યું : ‘હું હવે પછી એવી રીતે જીવવાની વધુ કાળજી લઈશ કે તેઓના કહેવા ઉપર કોઈને વિશ્વાસ જ ન આવે.’           

સુવિચાર

[1]

અંગ્રેજીમાં કહેવત છે તેમ બીજા કોઈ સામે આંગળી ચીંધીએ ત્યારે બાકીની ત્રણ આંગળી આપણી પોતાની સામે આપોઆપ વળી જાય છે. સામાન્ય અનુભવ એવો છે કે બેફામ ગાળાગાળી કરનાર લોકો જાતે જ ઘણા અસ્વચ્છ હોય છે, અને ઘણા ખુશામતખોર પણ હોય છે. તેમની ગાળાગાળી મોટે ભાગે તેમની હતાશા અને નિષ્ફળતાના પરિણામરૂપે આવી પડે છે.
– નગીનદાસ સંઘવી

[2]

શિક્ષકો જો શાંત ચિત્તે વિચારશે, સૂક્ષ્મ વિવેક કરશે તો જણાશે કે દસમાંથી નવ બાબતો એવી છે, જેમાં કાં બાળકને સમજવામાં નથી આવ્યું, કાં તેને પૂરતી સહાનુભૂતિ નથી મળી, કાં તેને વ્યક્ત થવાની તક નથી મળી, કાં તેને યોગ્ય માર્ગદર્શન નથી મળ્યું, કાં તેની સર્જનાત્મકતાને અવકાશ નથી મળ્યો, તેથી તેનું વર્તન ન સમજાય તેવું, અશિસ્તવાળું દેખાય છે. કદાચ તે ભૂલ કરીને પોતાના તરફ ધ્યાન ખેંચવા પણ માંગતું હોય
– મનસુખ સલ્લા

[3]

આકાશ, અગ્નિ, પૃથ્વી, જળ અને વાયુરૂપે માતા જગતજનની આપણું સતત પોષણ કરી રહી છે, છતાં તેનાં રૂપનાં દર્શન કરવાને બદલે તેના તરફ આપણું દુર્લક્ષ છે. જરૂર છે આપણા ‘મન આડેનો પડદો’ હટાવવાની !
– હરીન્દ્ર દવે

[4]

શંકા એ તો મોટામાં મોટો શત્રુ છે. શંકા આપણા હૃદયમાં ડર પેદા કરે છે. આ ડરને કારણે આપણને જે વસ્તુ પર આપણા વિજયની પૂરેપૂરી ખાત્રી હતી તે જ ચીજ સમક્ષ આપણે મસ્તક નમાવી દેવું પડે છે.
– શેક્સપિયર

[5]

હું ભારતના લોકોને કહું છું કે તમારી પાસે ઘણી, એકદમ સુંદર અને મહાન પરંપરાઓ છે. એને કદી ભૂલશો નહિ. જેનાથી ભારત વિખ્યાત છે, એ આ પરંપરાઓ તમે ભૂલી જશો તો એ વિશ્વ માટે એક ટ્રેજેડી હશે. આજના ખતરનાક સમયમાંથી પસાર થઈ દુનિયા જીવી જશે તો લોકસંસ્કૃતિની પ્રક્રિયા જીવંત રહી આગળ ધપતી રહેશે.
– પીટ સીંગર (અમેરિકન લોકસંગીતકાર)

[6]

ખૂબસૂરતી હંમેશા જોનારના મનમાં અને એની નજરમાં હોય છે. નહિતર ભૂલ કાઢનારને તો તાજમહાલમાં પણ ખામી દેખાય છે.
– સી.બી. જોન્સન

[7]

કેટલાક કહે છે કે ‘ગુરુ શા માટે જોઈએ ? તેના લીધે બંધન વધે છે. આપણે આપણા વિચારોથી ભગવાનની પ્રાપ્તિ કરી લેવી.’ પરંતુ આ કહેવાવાળા પણ બીજાઓના ગુરુ જ થાય છે ને !
– શ્રીમાતાજી

[8]

સંપૂર્ણ વિશ્વમાં ઉપનિષદ સમાન જીવનને ઊંચે ચઢાવનાર કોઈ બીજો શીખવા જેવો વિષય જ નથી. એનાથી જ મારા જીવનને શાંતિ વળી છે. એનાથી તો મને મૃત્યુ વખતે પણ શાંતિ મળશે.
– શૉપનહૉવર

[9]

પરમાત્મા પરિગ્રહ નથી કરતા. તે પોતાને જોઈતી વસ્તુ રોજરોજ બનાવી લે છે.
– ગાંધીજી

[10]

ટ્રેન ચાલે છે, બહારનાં વૃક્ષો સ્થિર છે, પણ આભાસ એ થાય છે કે ટ્રેન સ્થિર છે અને વૃક્ષો ચાલી રહ્યાં છે. કર્મ (ટ્રેન) અકર્મ લાગે છે, અને અકર્મ (વૃક્ષો) કર્મ લાગે છે ! શ્રીકૃષ્ણ કહે છે કે કર્મમાં જે અકર્મને જોઈ શકે છે, અને અકર્મમાં જે કર્મને જોઈ શકે છે એ યોગી છે. સ્થિતિ અને ગતિ બંનેને સમજવું જ્ઞાનીનું કામ છે.
– ચંદ્રકાન્ત બક્ષી.

[11]

હોશિયાર પુરુષને નિયંત્રણમાં રાખવા માટે મૂરખ સ્ત્રી પણ ચાલે છે, પરંતુ મૂરખ પુરુષને નિયંત્રણમાં રાખવા હોશિયાર સ્ત્રી જ જોઈએ. – બર્નાર્ડ શૉ

[12]

માણસના ખરાબ સ્વભાવના સૌથી વધુ કાંટા કુટુંબીજનોને અને મિત્રવર્તુળને વાગતા હોય છે.
– ભૂપત વડોદરિયા.

[13]

સારા માતાપિતા બનવું એ તો ભગીરથ કાર્ય છે. ઊંડી સમજણ, પ્રેમનિષ્ઠા અને સમર્પણ એ માટે જોઈએ. માબાપ તરીકે આપણે સંતાનો માટે એટલું કરીશું તો પછી આપણે કાઉન્સેલર્સની અને કાયદાઓની જરૂર ઓછી પડશે.
– જયવતી કાજી

[14]

એક વિદેશીએ પૂછેલા સંસ્કૃતિ વિશેના પ્રશ્નનો ઉત્તર : તમારે ત્યાં જ્યારે સાંજ પડે છે, ત્યારે હોટલોમાં દીવા થાય છે. અને અમારે ત્યાં સાંજ પડે છે ત્યારે મંદિરોમાં દીવા થાય છે. તમારે ત્યાં સાંજ પડે છે ત્યારે પતિ-પત્ની બધાં કુટુંબનાં માણસો તૈયાર થઈને હોટલોમાં જાય છે. અમારે ત્યાં સાંજ પડે છે ત્યારે કુટુંબનાં માણસો સાથે બેસીને પ્રભુપ્રાર્થના કરે છે, રામનામ જપે છે.
– રવીન્દ્રનાથ ટાગોર

[15]

કોઈ માણસમાં એકાદ વાર કોઈ દોષ દેખાય તો એવો કાયમી નિર્ણય ન કરી દેવો કે, ‘આ માણસ તો ખરાબ છે.’ સંભવ છે કે, દોષ જોવામાં તમારો જ દોષ હોય અથવા કોઈ વિશિષ્ટ સંજોગોનો ભોગ બનીને અનિચ્છા હોવા છતાં પણ તેને દોષના ભાગીદાર બનવાની ફરજ પડી હોય.
– સંકલિત

[16]
જે મનને કે શરીરને દુઃખદાયક છે કે અહિત કરે છે તે વસ્તુ ગમે તેટલી સુંદર હોવા છતાંય અસુંદર છે કારણ કે તે અકલ્યાણકારી છે. જે કલ્યાણકારી છે તે જ સુંદર થઈ શકે છે.
– ભગવતીચરણ વર્મા

[17]

સુજ્ઞ પુરુષે સ્વાદિષ્ટ ભોજન કદી એકલાં ન કરવું. કોઈ ગૂઢ વિષય પર એકલાં એકલાં વિચાર ન કરવો. માર્ગ પર એકલાં એકલાં ન ચાલવું અને ઘણા લોકો સૂતાં હોય ત્યારે એકલાં ન જાગવું.
– મહાભારત

[18]

ખોરાક, પાણી અને હવા શરીરને ટકાવી રાખનાર અને એનું આરોગ્ય જાળવી રાખનાર અમૂલ્ય વસ્તુઓ છે. પરંતુ શરીરરૂપી કિલ્લાનો રાજા તો માણસનું મન છે. મન પ્રસન્ન તો શરીર ચપળ, મન સોગિયું તો શરીર ઢીલું. મન ઉદ્વેગમાં તો શરીર રોગી. મન નિરાશ તો શરીર શક્તિહીન.
– મોહમ્મદ માંકડ

[19]

મનુષ્યદેહધારી જીવે જગતની પંચાતમાં પડ્યા વિના પોતાના સ્વધર્મ પ્રમાણે વર્તવું જોઈએ. તેણે કોઈને શિખામણ કે ઉપદેશ આપવાની જરૂર નથી. તેણે પોતાની જાતને સતત તપાસ્યા કરવી જોઈએ. તો જ તે પોતાને ઓળખી શકશે અને પરમાત્માની શક્તિ તરીકે કેમ જીવવું તેની ચાવી તેના હાથમાં આવી જશે

– કાંતિલાલ કાલાણી

[20] સૂર્યાસ્ત વખતે સૂર્યના કિરણો મધ્યાહ્નકાળ જેટલાં આકરાં નથી હોતાં તો પછી વૃદ્ધાવસ્થા વખતે માણસનો સ્વભાવ યુવાવસ્થા જેવો આકરો હોય એ શી રીતે ચાલે ?

– રત્નસુંદરવિજયજી

સુવિચાર

જેના વડે મનુષ્ય જીવે છે તે સંસ્કૃતિ નથી, પણ જેને માટે મનુષ્ય જીવે છે તેનું નામ સંસ્કૃતિ! – કનૈયાલાલ મુનશી

ધન કરતાં જ્ઞાન એટલા માટે ઉત્તમ છે કે ધનની રક્ષા તમારે જ કરવી પડે છે. જ્યારે જ્ઞાન તો પોતે જ તમારી રક્ષા કરે છે. –સ્વામી રામતીર્થ

માણસને અસ્વસ્થ કોણ કરે છે ? બહારની પરિસ્થિતિ ? ક્દાચ ખરેખર તો એના માટે કારણભૂત હોય છે : એના પૂર્વગ્રહો, એની માન્યતાઓ, અપેક્ષાઓ, આગ્રહો, તોફાની વૃત્તિઓ તથા એનો દંભ અને એવું એકાકીપણું. – કાંતિલાલ કાલાણી

પુસ્તકનું મૂલ્ય રત્ન કરતાંય અધિક છે. રત્ન બહારની ચમક બતાવે છે. જ્યારે પુસ્તક અંત:કરણને ઉજ્જવળ કરે છે. – ગાંધીજી

પગમાં દોરી ગૂંચવાઈ હોય ત્યારે કૂદાકૂદ કરવાને બદલે શાંતિથી ઊભા રહેવું જોઈએ. જીવનમાં પણ સમસ્યાઓ ઊભી થાય ત્યારે શાંતિ, સમતા અને શ્રદ્ધાના આસન પર બેસતાં આવડે તો જ જલ્દી ઉકેલ મળે. – રવીન્દ્રનાથ ટાગોર

પ્રાર્થના જીવનનું એક જબરદસ્ત બળ છે. વિષમ પરિસ્થિતિમાં મૂકાયેલા, શોકમાં ડૂબેલા, હતાશ, પોતાને અસહાય અને અંધકારમાં ખોવાયેલા અનુભવતા મનુષ્યને, સાચા ઊંડા ભાવથી કરેલી પ્રાર્થના તેની સ્થિતિમાંથી ઊંચકી લઈ એક મહાન ચૈતન્ય સાથે તેનો સંબંધ જોડી આપે છે. – કુન્દનિકા કાપડિયા

કર્મ એ એવો અરીસો છે જે આપણને આપણું સ્વરૂપ બતાવી દે છે, માટે આપણે કર્મનો આભાર માનવો જોઈએ. – વિનોબા ભાવે

સજ્જ્નોનું લેવાનું પણ આપવા માટે જ હોય છે. જેમકે વાદળોનું, એ ધરતીની નદીઓથી પાણી લે છે અને પછી એને જ પાછું આપી દે છે. – કાલિદાસ

જીવ એ શિવ છે નો અર્થ એ કે જીવિત વ્યક્તિ જ ઈશ્વર છે. જે ઈશ્વરને પ્રેમ કરે છે તેણે દુ:ખમાં, પીડામાં, ક્ષતિઓમાં, અતિરેકોમાં અને માનવસ્વભાવનાં ભયંકર રૂપોમાં પણ ઈશ્વરના દર્શન કરી તેની સાથે તાદાત્મ્ય સાધવું જોઈએ. –સ્વામી વિવેકાનંદ