તારા રૂમાલે નક્કી ફરકવાનું હોય છે
મારે ય પછી સ્હેજ મલકવાનું હોય છે.
ભૂલા પડી જવાનું નથી કોઈ કારણે
મારે તો તારા ફળિયે રખડવાનું હોય છે.
શેરીની ધૂળમાં જ હું સંતાઈ જાઉં છું.
ઘરમાંથી તારે જ્યારે નીકળવાનું હોય છે.
પડછાયાને કશું જ નથી હોતું કામ, દોસ્ત
એને તો થોડું થોડું સરકવાનું હોય છે.
તેને ફિકર નથી કે સુખડમ્હેલ થશે રાખ
દીવાસળીએ માત્ર સળગવાનું હોય છે.
દુષ્કાળમાં એ બાળકો હરખી શકે જરા
તેથી તો વાસણોએ ખખડવાનું હોય છે.
કેદી છું ‘રાહી’, મનને હું સમજાવું કઈ રીતે
કે જેલના સળિયાએ સબડવાનું હોય છે.
– એસ. એસ. રાહી.
Filed under: એસ. એસ. રાહી., ગઝલ, ગુજરાતી ગઝલ | Tagged: એસ. એસ. રાહી., ગુજરાત, ગુજરાતી, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, તારા રૂમાલે નક્કી ફરકવાનું હોય છે, gujarat, gujarati, gujarati gazal, gujaratigazal, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | Leave a comment »