અજવાળાંનો આવો શું નુસખો કરવાનો,

અજવાળાંનો આવો શું નુસખો કરવાનો,
વૃક્ષો કાપીને કેવો તડકો કરવાનો.

સંબંધો ને સંજોગો તો પડછાયા છે,
પડછાયા પર શુંયવળી ગુસ્સો કરવાનો.

સૌના મંતવ્યોની ખીણ અને ટેકરીઓ,
કંઈ બોલીને અહીંયા શું પડઘો કરવાનો.

પર્વત, દરિયા, વન કે રણ તો પાર કરી દઉં,
અહીં તો સ્વપ્નાં વચ્ચેથી રસ્તો કરવાનો.

એ જાણે છે એનું રૂપ બધે નિખર્યું છે,
તોય નિયમ ક્યાં તોડે છે પડઘો કરવાનો.

– જવાહર બક્ષી