મૃત્યુના મૃગજળની માયા વિસ્તરી રજકણ સુધી,-આદિલ મન્સૂરી

મૃત્યુના મૃગજળની માયા વિસ્તરી રજકણ સુધી,

સેંકડો  જન્મોની  છાયા  જિંદગીના  રણ  સુધી.

વાત વિસ્તરતી ગઈ કારણની સીમાઓની બ્હાર,

બુધ્ધિ તો અટકી ગઈ પહોંચીને બસ કારણ સુધી.

બ્હાર  ઘટનાઓના  સૂરજની  ધજા  ફરકે  અને,

સ્વપ્નના  જંગલનું  અંધારું  રહે  પાંપણ  સુધી.

નિત્ય પલટાતા સમયમાં અન્યની તો વાત શી,

મારો ચ્હેરો સાથ ના આપે  મને  દર્પણ  સુધી.

કાંકરી  પૃથ્વીની  ખૂંચે છે  પગે પગ  ક્યારની,

આભની સીમાઓ  પૂરી થાય છે  ગોફણ સુધી.

કાળનું કરવું કે ત્યાં  આદિલ સમય થંભી ગયો,

જ્યાં યુગોને હાથ પકડી લઈ ગયો હું ક્ષણ સુધી.

આદિલ મન્સૂરી

Leave a comment