તમે પ્રસારી લીધો હાથ તો અપાઈ જઈશ,
વચન બનીશ તો નાછૂટકે પળાઈ જઈશ.
હરેક છત્રીમાં વાદળ શો અંધરાઈ જઈશ,
હરેક ચશ્માંને વીંધીને ઝરમરાઈ જઈશ.
આ છાંયડાના કસુંબાઓ ઘટઘટાવી લ્યો !
નગરનું વૃક્ષ છું, કોઈ પણ ક્ષણે વઢાઈ જઈશ.
નથી હું સૂર કે રૂંધી શકો તમે મુજને,
હું બૂમ છું ને કોઈ કંઠથી પડાઈ જઈશ.
હવે તો વેલને ફૂલોનો બોજ લાગે છે,
હું મારા શ્વાસની દીવાલથી દબાઈ જઈશ.
કોઈ તો સ્પર્શો ટકોરાના આગિયાથી મને,
કે જિર્ણ દ્વારની સાંકળ છું હું, કટાઈ જઈશ.
પછી ભૂંસાઈ જશે મારી સર્વ અંગતતા,
ગઝલરૂપે હું રચાયો છું તો ગવાઈ જઈશ.
– ભગવતીકુમાર શર્મા
Filed under: ગઝલ, ગીત, ગુજરાતી ગઝલ, ભગવતીકુમાર શર્મા | Tagged: ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, તમે પ્રસારી લીધો હાથ તો અપાઈ જઈશ, ભગવતીકુમાર શર્મા, ghazal, gujarati gazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal |
Leave a comment